જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા
- 27 Jul, 2024
જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં એક રોડ અકસ્માત થયો હતો. આ માર્ગ અકસ્માતમાં 8 લોકોના મૃત્યુ થયા છે. મૃતકોમાં પાંચ બાળકોનો પણ સમાવેશ થાય છે. આ અકસ્માત દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના કોકરનાગના ડાકસુમ વિસ્તાર પાસે થયો હતો. જ્યાં કારમાં મુસાફરી કરી રહેલા તમામ 8 લોકો ખીણમાં પડી જતાં મૃત્યુ પામ્યા હતા.
પોલીસે જણાવ્યું કે રજીસ્ટ્રેશન નંબર JK03H9017 ધરાવતું સુમો ગાડી જમ્મુ ક્ષેત્રના કિશ્તવાડથી આવી રહી હતી. તે કાબુ ગુમાવી દેતા ડેક્સમ પાસે રોડ પર ખીણમાં ખાબકી ગઈ હતી. આ અકસ્માતમાં 5 બાળકો, બે મહિલા અને એક પુરુષ પોલીસ સહિત 8 લોકોના મોત થયા હતા.
અકસ્માત બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહોને બહાર કાઢ્યા હતા. આ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે જણાવ્યું કે અકસ્માતના કારણો શું હતા? આની ખાતરી કરવામાં આવી રહી છે. અકસ્માત બાદ કાર સંપૂર્ણ ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે.
આ અકસ્માત વિશે વધુ વિગતો આપતા પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે કિશ્તવાડ-અનંતનાગ રોડ પર અરાશન જગ્યાએ પોલીસકર્મી ઇમ્તિયાઝ અહેમદ તેના પાંચ બાળકો અને બે મહિલાઓ સાથે કારમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે તેમનો અકસ્માત થયો હતો. આ પછી વાહન ખાડામાં પડી ગયું હતું. મૃતક ઇમ્તિયાઝ કિશ્તવાડથી મડવા કિશ્તવાડમાં તેના ઘરે આવી રહ્યો હતો, જ્યાં તે પોલીસ ડ્યુટી પર તૈનાત હતો.
તમને જણાવી દઈએ કે આ પહેલા સોમવારે મધ્ય કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં ઝોજિલા પાસ પર એક માર્ગ અકસ્માત થયો હતો. બેંગલુરુના ત્રણ પ્રવાસીઓની કાર ઊંડી ખીણમાં પડતાં તેમનાં મોત થયાં હતાં. આ અકસ્માતમાં એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો.